વેદ પરિચય
વેદ ચાર છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પ્રત્યેક વેદના ચાર ભાગ છે: બ્રાહ્મણ, સંહિતા, આરણ્યક અને ઉપનિષદ. આગળના ત્રણ ભાગ ‘પૂર્વમીમાંસા દર્શન’ તરીકે ઓળખાય છે જ્યારે ઉપનિષદ વેદનો અંત ભાગ હોવાથી તેને ‘વેદાંત દર્શન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસે આ રીતે વેદના ઋગ્વેદ આદિ ચાર ભાગ કરીને તેના સંકલનનું કાર્ય ચાર મુનિઓ: સુમંતુ, જૈમિનિ, વૈશંપાયન અને પૈલને સોંપ્યું. તેઓ પોતે મુખ્ય સંકલનકાર રહ્યા. રંગે શ્યામ હોવાથી ‘કૃષ્ણ’ અને દ્વીપ પર જન્મ્યા હોવાથી ‘દ્વૈપાયન’ એવા નામધારી કૃષ્ણ દ્વૈપાયને વેદના ભાગ કર્યા હોવાથી તેઓનું બીજું નામ પડ્યું: ‘વેદ વ્યાસ.’ વિ વ્યાસ વેદાન ઈતિ વેદ વ્યાસ.
પૂર્વમીમાંસામાં કર્મકાંડની ચર્ચા છે જ્યારે વેદાંત એટલે કે ઉપનિષદ એ વેદનો જ્ઞાનકાંડ છે. એ ઉત્તરમીમાંસા તરીકે પણ ઓળખાય છે. વેદના ચાર ભાગ થયા તેથી વેદો સચવાઈ રહ્યા. ત્યારબાદ વેદવ્યાસજીએ સૂત્રાત્મક તત્વજ્ઞાન આપ્યું: બ્રહ્મસૂત્ર. તેઓએ સાંસ્કૃતિક તેમજ ઐતિહાસિક દૃષ્ટિએ બેજોડ એવો મહાભારત ગ્રંથ લખ્યો જેનું સાચું નામ ‘જય’ છે: તતો જયમુદીરયેત – હું ‘જય’ લખું છું. ભારતીય તત્વજ્ઞાનમાં પ્રસ્થાનત્રયીનું ખુબ મહત્વ છે, જેમાં ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે: ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને શ્રીમદભગવદગીતા. ગીતા સ્વયં ભગવાનના મુખે ગવાઈ હોવાથી વેદોની જેમ તેને પણ શ્રુતિ સાહિત્ય ગણવામાં આવે છે. આ પ્રસ્થાનત્રયી પર જે ત્રણ ભાષ્યો(ટીકા-વિવેચન ગ્રંથો) લખીને મૌલિક અર્થઘટન આપે તેને આપણે ત્યાં ‘આચાર્ય’ની પદવી મળે છે. પાંચ મુખ્ય આચાર્યો છે: શ્રીમદ આદ્ય શંકરાચાર્ય, મહાપ્રભુ વલ્લભાચાર્યજી, મહાપ્રભુ રામાનુજાચાર્યજી, મધ્વાચાર્યજી તેમજ નિમ્બાર્કાચાર્યજી. તેઓએ આપેલ વૈદિક સિદ્ધાંતો અનુક્રમે: કેવલાદ્વૈત, શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત તેમજ દ્વૈત વગેરે વાદ તરીકે ઓળખાય છે.
આત્મા-પરમાત્માના સંબંધમાં વેદના ‘તત્વમસિ’ સિદ્ધાંતનું (1)‘કેવલાદ્વૈત’ પ્રતિપાદન કરે છે – ‘તત ત્વમ અસિ’ = ‘તે તું છે.’ અર્થાત ‘પરમ તત્વ જ આત્મા છે.’ (2)રામાનુજાચાર્યજી કહે છે: ‘તસ્ય ત્વમ અસિ.’ એટલે કે ‘તેનો તું છે.’ (3)વલ્લભાચાર્યજી અનુસાર ‘તેન ત્વમ અસિ’ એટલે ‘તેના લીધે તું છે’ – ‘શ્રીકૃષ્ણ: શરણમ મમ.’ ગુજરાતમાં શંકરાચાર્યજીને શૈવ સંપ્રદાય (બ્રાહ્મણો), વલ્લભાચાર્યજીને વૈષ્ણવ સંપ્રદાય(વણિકો) તેમજ રામાનુજાચાર્યજીને સ્વામીનારાયણ સંપ્રદાય(પટેલો) અનુસરે છે. આ ત્રણેય સંપ્રદાયોનું મૂળ વેદમાં હોવાથી વેદની ઉપાસના શરુ થાય તો હિન્દુઓમાં એકતા દૃઢ કરી શકાય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો